NEET મામલે વિદ્યાર્થીઓની મોટી જીત 1563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સ રદ, 23 જૂને ફરીથી પરીક્ષા યોજાશે; વિદ્યાર્થીઓ પાસે હશે બે વિકલ્પ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan13062024_065424_Neet 3.webp)
- 13 Jun, 2024
NEET-UG મામલામાં આજે વિદ્યાર્થીઓની મોટી જીત થઈ છે. સુપ્રીમ કોર્ટે પરીક્ષામાં અનિયમિતતાને જોતા નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)ને 1,563 વિદ્યાર્થીઓના ગ્રેસ માર્ક્સને રદ કરીને ફરીથી NEET પરીક્ષા યોજવાનો આદેશ કર્યો છે. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે આજે અરજદારોને કહ્યું કે તમારી વાત NTA(નેશનલ ટેસ્ટિંગ એજન્સી)એ માની લીધી છે. તે ગ્રેસ માર્કને હટાવી રહી છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતા કહ્યું કે માત્ર તે જ વિદ્યાર્થીઓ સામેલ થશે, જેમને ગ્રેસ માર્ક્સ મળ્યાં હતા. આ સિવાય NTAએ આ વિદ્યાર્થીઓને એક ઓપ્શન પણ આપ્યો છે. તેઓ ક્યાં તો રી-નીટમાં સામેલ થઈ શકે છે અથવા તો પછી ગ્રેસ વગરના માર્ક્સની માર્કશીટની સાથે નીટ યુજીના કાઉન્સિલિંગમાં સામેલ થઈ શકે છે.
NTAએ કહ્યું કે 23 જૂને બીજી વખત પરીક્ષા થશે, તે પછીથી કાઉન્સિલિંગ થશે. પરિણામ 30 જૂન પહેલા આવી શકે છે. ઉલ્લેખનીય છે કે નીટ પરીક્ષાના પરિણામને લઈને સુપ્રીમ કોર્ટમાં ઘણી બધી અરજીઓ દાખલ કરવામાં આવી છે. જેમાં ગ્રેસ માર્ક્સ, રી-એક્ઝામ અને પરીક્ષા કેન્સલનાં મુદ્દાઓને ટાંકીને કરાયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજીમાં અલખ પાંડેએ કોર્ટને રજૂઆત કરતા જણાવ્યું કે કોર્ટની નજર હેઠળ જ એક એક્સપર્ટ પેનલની રચના કરવામાં આવે, જે નીટ 2024ની પરીક્ષા પ્રક્રિયા અને પરિણામની તપાસ કરે.
જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે આ મામલાની સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ફરી એક વખત એ વાતનું પુનરાવર્તન કર્યું કે નીટ-યુજી-2024ના કાઉન્સિલિંગ પર રોક લગાવવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે કાઉન્સિલિંગ તો ચાલું જ રહેશે અને અમે તેને રોકીશું પણ નહીં. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કુલ 67 વિદ્યાર્થીઓએ 720 માર્ક્સ મેળવ્યા છે. હરિયાણાનું ફરીદાબાદ અનિયમિતતાઓને પગલે સમાચારોમાં રહ્યું છે. જોકે આ પછળનું કારણ એવું છે કે અહીં એક જ સેન્ટરનાં 6 વિદ્યાર્થીના 720 માર્ક્સ આવ્યા છે.
NTAના વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે બીજી વખતની પરીક્ષા અંગેનું નોટિફિકેશન આજે જ જાહેર કરવામાં આવશે. નીટ યુજી ફરીથી 23 જૂને યોજવામાં આવી શકે છે. પરિણામો જૂનમાં જ જાહેર કરવામાં આવશે. જેથી કરીને જુલાઈમાં શરૂ થનારા કાઉન્સિલિંગને અસર ન પહોંચે. NTAએ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન માત્ર 1,563 વિદ્યાર્થીઓને જ ઓપ્શન આપ્યું છે, જેમના પરિણામમાં ગ્રેસ માર્ક્સ પછી અનિયમિતતાના આરોપ લાગ્યા હતા. NTAએ આ અંગે કહ્યું કે આ ઉમેદવારો ગ્રેસ વગરના માર્ક્સની સાથે નીટ યુજી કાઉન્સિલિંગમાં સામેલ થઈ શકે છે અથવા તો ફરીથી નીટ પરીક્ષા આપી શકે છે. NTAએ માત્ર 6 પરીક્ષા કેન્દ્રો પરના 1563 વિદ્યાર્થીઓ માટે રી-નીટનું આયોજન કરશે.
નીટ-યુજી 2024નાં બે અન્ય ઉમેદવારો હિતેન સિંહ કશ્યપ અને પલક મિત્તલે પરીક્ષા પ્રક્રિયાને અયોગ્ય ગણાવીને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમનો આરોપ છે કે પહેલા અને પરીક્ષા દરમિયાન મોટા પાયે પ્રશ્નપત્ર લીક થયા અને હેરાફેરી પણ થઈ હતી. આ અરજી મુજબ પેપર લીકની સાથે નીટ-યુજી-2024 દરમિયાન પરીક્ષા કેન્દ્રમાં પણ મોટાપાયે હેરાફેરી થઈ છે. આ અંગે એમ પણ કહેવામાં આવ્યું છે કે ઓડિશા, કર્ણાટક અને ઝારખંડ જેવા રાજ્યોના વિદ્યાર્થીઓએ ગુજરાતના ગોધરામાં એક વિશેષ કેન્દ્ર પસંદ કર્યું હતું.